કોંગ્રેસને લઈને વડાપ્રધાન આટલા ક્રોધિત શા માટે ?

શ્રવણ ગર્ગ : ગુજરાત અને દિલ્હીની સત્તામાં નિર્વિઘ્ન એકવીસ વર્ષ વીતાવ્યાં પછી, વિરોધ પક્ષને પોતાની જરૂરિયાત જેટલા પાંગળો બનાવી દીધા પછી અને પાર્ટીના આંતરિક અસંતોષને ‘માર્ગદર્શક મંડળ’માં સફળતાપૂર્વક રવાના કરી દીધા પછી નરેન્દ્ર મોદીને એ કોંગ્રેસ પોતાના માટે પડકારજનક શા માટે લાગે છે કે જેને પોતે મે 2014માં વડાપ્રધાનપદના સોગંદ લેતા પહેલા જ લગભગ ખતમ કરી ચૂક્યા હતા? કશુંક તો જરૂર હોવું જોઈએ કે વડાપ્રધાનને ગાંધી પરિવાર તરફ સંસદના બંને સદનોમાં સાત વર્ષ પછી આટલી કડવાશ સાથે અસહિષ્ણુતા વ્યક્ત કરવી પડી રહી છે ! એ ઇચ્છત તો આ કામ પોતાના પ્રથમ કાર્યકાળના પહેલા બજેટસત્રમાં જ કરી શકતા હતા.

‘વિશ્વ ગુરુ’ બનવા જઈ રહેલ ભારત દેશના વડાપ્રધાને જો પોતાના બહુમૂલ્યવાન ત્રણ કલાકનો સમય કેવળ એક વિરક્ત વિરોધપક્ષના ઇતિહાસની કાળગણના માટે આપવો પડે તો માનવું પડે કે સમસ્યા કંઈક વધારે ગંભીર છે. સામાન્ય જનતાની સમજણ મુજબ તો આની પાછળ બે જ કારણ હોઈ શકેઃ કાં તો ‘પપ્પુ’ કહેવાતા રાહુલ ગાંધી દ્વારા રાષ્ટ્રપતિના સંબોધન પર રજૂ થયેલ ધન્યવાદ પ્રસ્તાવ પર લોકસભામાં આપવામાં આવેલ અદ્ભુત ભાષણે સત્તાના પાયા હલાવી નાખ્યા છે અથવા ઉત્તરપ્રદેશની સડકો પર પ્રિયંકા ગાંધીના રૂપમાં ઇંદિરા ગાંધીનો જે ‘લડકી હૂઁ, લડ સકતી હૂઁ’ વાળો જે અવતાર પ્રગટ થયો છે એને લઈને સત્તારૂઢ પક્ષ બેચેન છે.

પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુથી લઈને તેરમા વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ સુધીના સંસદના બજેટ સત્રોમાં તત્કાલીન રાષ્ટ્રપતિઓના સંબોધન પર ચર્ચાઓના જવાબમાં (કદાચ) કોઈ પણ વડાપ્રધાને બંને સદનોના ફોરમનો ઉપયોગ કોઈ એક વિપક્ષી દળની ચામડી સાર્વજનિક રીતે ઉઘાડીને એના જખમોને લોહીલુહાણ કરવામાં નહીં કર્યો હોય જેવું સાત અને આઠ ફેબ્રુઆરી 2022ના રોજ દેશ અને દુનિયાના કરોડો લોકોએ ટીવીના પડદે જોયું અને સાંભળ્યું.

વડાપ્રધાનની કચેરીમાં રાત-દવિસ સંઘર્ષરત રહેનાર ટીમનાં વખાણ કરવાં જોઈએ કે એણે આટલો કઠોર પરિશ્રમ કરીને ગોવા મુક્તિસંગ્રામને લઈને નહેરુ દ્વારા કહેવાયેલ કથનથી માંડીને ‘તાનાશાહ’ કોંગ્રેસી શાસન દ્વારા વખતોવખત બરખાસ્ત કરાયેલ વિપક્ષી રાજ્ય સરકારોની યાદી, એના નેતાઓ દ્વારા અપમાનિત કરાયેલ લોકોનાં નામ અને એ તમામ ઘટનાઓની પ્રામાણિક વિગતો તૈયાર કરવામાં પોતાની પૂરી તાકાત લગાવી જેને હથિયાર બનાવીને વડાપ્રધાન પોતાનું ઓજસ્વી ભાષણ બંને સદનોમાં આપી શક્યા. સત્તારૂઢ પક્ષના સાસંદોએ આટલી બધી વાર પહેલા ક્યારેય ‘શેમ-શેમ’ ઉચ્ચાર્યું નહીં હોય કે ન આ રીતે પાટલીઓ થપથપાવી હશે !

વડાપ્રધાને પોતાનાં બંને ભાષણોમાં શું કહ્યું એ એટલા માટે ફરી કહેવું નથી કે એમ કરવાથી અટલ બિહારી વાજપેયી સહિત એ તમામ વિભૂતિઓ સંસદીય ઈતિહાસના કઠેડામાં ઊભી કરાતી જવાશે કે જેમણે કોઈ વિપક્ષી દળ કે નેતા દ્વારા પોતાની સરકાર ઉથલાવાયા છતાં આ રીતનું ભાષણ સંસદમાં નથી આપ્યું. જે અટલજીનો ઉલ્લેખ વડાપ્રધાને એમની રચનાના માધ્યમથી કર્યો (‘વ્યાપ્ત હુઆ બર્બર અંધિયારા, કિંતુ ચીર કર તમ કી છાતી, ચમકા હિન્દુસ્તાન હમારા. શત-શત આઘાતોં કો સહકર, જીવિત હિન્દુસ્તાન હમારા. જગ કે મસ્તક પર રોલી સા, શોભિત હિન્દુસ્તાન હમારા.’) એ જ અટલજીએ નહેરુના નિધન પછી પોતાની શ્રદ્ધાંજલિમાં સંસદમાં કહ્યું હતું, ‘એક સપનું હતું જે અધૂરું રહ્યું, એક ગીત હતું જે મૂંગું બની ગયું, એક જ્યોત હતી જે અનંતમાં વિલીન થઈ ગઈ. માનવતા આજે ખિન્ન બની ગઈ.’

વડાપ્રધાને જે કંઈ કહ્યું એને બેવડાવવા કરતાં વધુ જરૂરી એ સમજવું હોઈ શકે છે કે મોદી જનતાના ક્યા વર્ગ કે સમૂહને સંબોધિત કરવા ઇચ્છતા હશે. નહેરુને લઈને આજદિન સુધીના કોંગ્રેસના ‘કાળા ઈતિહાસ’થી (જેમાં 1975માં લોકશાહીનું ગળું ઘોંટવાનું પણ સામેલ છે)શું વડાપ્રધાન પોતાના જ પક્ષના સાંસદો અને ધારાસભ્યોને પરિચિત કરાવવા ઇચ્છતા હતા ? કે એ બિનકોંગ્રેસી વિપક્ષને ચેતવવા ઇચ્છતા હતા જે કોંગ્રેસને આગળ ધરીને 2024માં કેંદ્રની સત્તા કબજે કરવાની તૈયારી કરી રહેલ છે ? કે પછી એ ‘ગાંધી પરિવાર’ને એના અતીત માટે શરમાવવા ઇચ્છતા હશે ?

વડાપ્રધાને તો કોંગ્રેસનો માત્ર એટલા માટે પણ આભાર વ્યક્ત કરવો જોઈતો હતો કે જો ઇંદિરા ગાંધીએ 1975માં લોકશાહીનું ગળું ઘોંટ્યું ન હોત તો ન તો તાનાશાહ શાસકોને ક્યારેય એ ખબર પડત કે જનતાનું મૌન પણ સત્તાપરિવર્તન કરી શકે છે અને ન તો કેંદ્રમાં વિપક્ષી દળોની એવી સંયુક્ત સરકાર બનવાની ક્ષણ ઊભી થાત જેમાં જનસંઘ (વર્તમાન ભાજપ)ની પણ ભાગીદારી હતી. એ સરકારમાં અટલજી વિદેશમંત્રી અને અડવાણી સૂચના અને પ્રસારણ મંત્રી હતા.

એ વાતની તપાસ થઈ શકે છે કે આઝાદી પછીની કોંગ્રેસના ‘કાળા’ રાજકીય ભૂતકાળની આટલી શોધપૂર્ણ જાણકારી દક્ષિણ ભારત (કેરળ, તામિલનાડુ, કર્ણાટક, ઓરિસ્સા, તેલંગણા, પુદુચેરી વગેરે), ઉત્તર-પૂર્વનાં રાજ્યો (આસામ, મેઘાલય, મણિપુર, સિક્કિમ, નાગાલેન્ડ, અરુણાચલ, મિઝોરમ વગેરે) અને કાશ્મીર-લદાખ વગેરે વિસ્તારોંમાં રહેનારી કરોડોની વસ્તી શું બરાબર સાંભળી, સમજી અને સ્વીકાર કરી શકી હશે ? જો ના તો કેમ ? મોદી તો દેશના 28 રાજ્યો અને આઠ કેંદ્રશાસિત પ્રદેશોમાં વસતા તમામ એકસો ત્રીસ કરોડ નાગરિકોના વડાપ્રધાન છે ! તો શું આ રાજ્યોની જનતાને પોતાના વડાપ્રધાનના ભાષણોમાં કોઈ રસ જ નહીં હોય ?

એ અનુમાન લગાવવું મુશ્કેલ નથી કે વડાપ્રધાનના ઉદ્બોધનના કેંદ્રમાં એ રાજ્યો હશે જ્યાં પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે, એ રાજ્યો જ્યાં આ વર્ષના અંતમાં અને હવે પછીના બજેટભાષણ અગાઉ ચૂંટણી થવાની છે, ભાજપશાસિત એ પ્રદેશો જ્યાં ડબલ એંજિનની સરકારો વિરુદ્ધ એન્ટીઇન્કમ્બસી છે અને પાર્ટી અને સંઘના એ લાખો કાર્યકર્તાઓ જે કોવિડની તકલીફથી પીડિત જનતાનો સામનો કરતા ડરી રહી છે.

આને વડાપ્રધાનના ઉદ્બોધનોની વિશેષતા માની શકાય છે કે બજેટ અને ‘બે હિંદુસ્તાનો’ને લઈને રાહુલ ગાંધી દ્વારા પૂછાયેલ અસુવિધાજનક પ્રશ્નોના સંતોષજનક જવાબો આપવાને બદલે એ પોતાના તરફથી એટલા આત્મવિશ્વાસથી કોંગ્રેસની જ વિરુદ્ધમાં ઢગલો પ્રશ્નો ઊભા કરી રહ્યા હતા. કોંગ્રેસના આટલા નિરાશાજનક અને રાષ્ટ્ર-વિરોધી અતીત તથા એના સંગઠન પર એક જ પરિવારના આધિપત્યના ખુલાસા પછી પણ જો જનતા વડાપ્રધાનની સલાહ માનીને એની તરફેણમાં મતદાન કરવું બંધ નથી કરતી તો માની લેવું જોઈએ કે ભાજપ અને સંઘની ખરી સમસ્યા કોંગ્રેસ અને ‘પરિવાર’ નહીં પણ દેશની જનતા છે. એ સંજોગોમાં તો વડાપ્રધાને ઇલાજ જનતાનો જ કરવો પડશે.

(मूल हिंदी आलेख का गुजराती अनुवाद )

We are a non-profit organization, please Support us to keep our journalism pressure free. With your financial support, we can work more effectively and independently.
₹20
₹200
₹2400
નમસ્કાર, વાચકો ને એ વિનંતી છે કે અમને વાંચે, શેયર કરે, અને એના થી વધુ સારું કરવા માટે અમને સુઝવે. તમે Whatsapp પર સીધું સંપર્ક કરી શકો છો આભાર