બનાસકાંઠા,તા.૧ : બનાસકાંઠાના મોટા જામપુર ગામે ખેતરમાં રવિવારે રાતે બાયોગેસના કુવામાં ગેસ ગળતર થતા સફાઈ માટે ઉતરેલા બે વ્યક્તિનું ગૂંગળામણથી કરૂણ મોત નિપજયું હતું. આ ઉપરાંત અન્ય ચાર લોકો અસરગ્રસ્ત થતાં સારવાર અર્થે રાધનપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા શિહોરી પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. કાંકરેજ તાલુકાના મોટા જામપુર ગામ ખાતે ગઇકાલે રાતે, બાયોગેસના કૂવામાં ગેસ ગળતર થતા સફાઈ માટે ઉતરેલા ખેતર માલિકના પુત્ર અને ભાગીદારનું કરુણ મોત નીપજયું હોવાની ઘટના સામે આવી છે. મોટા જામપુર ખાતે રગનાથભાઇ ચૌધરીએ તેમના ખેતરમાં બાયોગેસ પ્લાન્ટ બનાવ્યો છે. તેમનો પુત્ર આનંદ ચૌધરી આ બાયોગેસના કુવામાં ગત મોડીરાત્રે સફાઈ માટે ઉતાર્યો હતો.
તે સમયે ગેસ ગળતર થતાં ગૂંગળામણના કારણે તેનું કૂવામાં જ મોત નીપજ્યું હતુ. જાેકે, મોડે સુધી બહાર ન આવતા ભાગીદાર તરીકે કામ કરતાં સુંધાજી ઠાકોર પણ કૂવામાં ઉતર્યા હત. તેમનું પણ બાયોગેસનાં કૂવામાં ગૂંગળામણથી મોત થયું હતું. કલાકો સુધી આ બંને બહાર ન આવતા આખરે આજુબાજુના લોકો પણ તેમને જાેવા માટે કૂવામા ઉતર્યા હતા. જેથી ગેસ ગળતરના કારણે અન્ય ૪ લોકો પણ અસરગ્રસ્ત થયા હતા.
આ ઘટનાની જાણ થતાં જ આજુબાજુના લોકો અને શિહોરી પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. જે બાદ બંને મૃતકોની લાશને પીએમ અર્થે ખસેડી હતી. જ્યારે અન્ય ચાર ઇજાગ્રસ્ત અસરગ્રસ્ત લોકોને સારવાર માટે રાધનપુર ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. મોડી રાત્રે બનેલી આ દુર્ઘટનાને કારણે આજુબાજુના લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. જ્યારે ખેતર માલિક અને ભાગીદાનું મોત નીપજવાથી ગામ તથા પરિવારોમાં શોકનો માહોલ છવાયો છે.
